મોરબી અને આસપાસના વિસ્તારોના બેરોજગાર યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 6 જૂનના રોજ જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી અને કચ્છ જિલ્લાની અંદાજે 30 જેટલી નામાંકિત ખાનગી કંપનીઓ ભાગ લેશે અને લાયક ઉમેદવારોની સીધી પસંદગી કરશે.
નિયામક, રોજગાર અને તાલીમ વિભાગના નિયંત્રણ હેઠળ કાર્યરત જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના મેગા જોબફેર 6 જૂન, 2026ના રોજ સવારે 9:30 કલાકે પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હોલ, વેજીટેબલ રોડ, ઉમા સંકુલ સામે, મોરબી ખાતે યોજાશે. રોજગારની શોધમાં રહેલા યુવાનો માટે આ ભરતીમેળો મહત્વની તક સાબિત થવાનો છે. ભરતીમેળામાં નોન-મેટ્રિક, ધોરણ-10, ધોરણ-12, ITI તેમજ વિવિધ વિષયોમાં સ્નાતક થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે કંપનીઓ સમક્ષ ઇન્ટરવ્યૂ આપવાની તક મળશે. કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોની લાયકાત અને અનુભવના આધારે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ રસ ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા અપીલ કરી છે. ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.), ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિર્ધારિત સ્થળે ઉપસ્થિત રહેવાનું રહેશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, રોજગાર વિનિમય કચેરીમાં અગાઉ નામ નોંધણી ન કરાવનાર ઉમેદવારો પણ આ જોબફેરમાં સીધી હાજરી આપી રોજગારી મેળવવાનો પ્રયાસ કરી શકશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને આ રોજગારીલક્ષી તકનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં વધતી જતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વચ્ચે આ મેગા જોબફેર સ્થાનિક યુવાનોને રોજગારી સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






