ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોરબી સબ જેલમાં ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પ’ યોજાયો હતો. જેમાં અદ્યતન હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનથી બંદીવાનોનું આરોગ્ય પરીક્ષણ હાથ ધરાયું હતું. આ ચેકઅપ દરમિયાન 5 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા.
કેન્દ્ર સરકારના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી સબ જેલ ખાતે બંદીવાનોના આરોગ્ય નિદાન માટે ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પ’ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કન્ટ્રોલ યુનિટ (DAPCU)-મોરબી, જેલ પ્રશાસન, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, એલાઇન્સ ઇન્ડિયા અને GSNP+ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં અદ્યતન હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા બંદીવાનોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પમાં બંદીવાનોના ચેસ્ટ એક્સ-રે કરીને ટીબીના વહેલા નિદાનની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે સાથે એચઆઈવી અને સિફિલીસ જેવા ચેપી રોગોના નિદાન માટે પણ વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા અંદાજે 20 હજારથી વધુ બંદીવાનોના આરોગ્ય પરીક્ષણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
મોરબી સબ જેલ ખાતે યોજાયેલા કેમ્પ દરમિયાન તમામ બંદીવાનોનું પ્રાથમિક આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવા 55 બંદીવાનોનું સઘન ચેકઅપ કરાતા 5 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. આ તમામ વ્યક્તિઓના સેમ્પલ વધુ તપાસ અને ચોક્કસ નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત આગામી દિવસોમાં જેલના તમામ બંદીવાનોનું દૈનિક ધોરણે આરોગ્ય પરીક્ષણ કરવામાં આવશે. આ આરોગ્ય ઝુંબેશને સફળ બનાવવા સુભિક્ષા પ્રોજેક્ટના પ્રિઝન કો-ઓર્ડિનેટર મીનાબેન પરમાર, જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તેમજ મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોગ્ય વિભાગના આ પ્રયાસથી જેલમાં રહેલા બંદીવાનોમાં ચેપી રોગોનું વહેલું નિદાન થઈ યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.






