મોરબી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવનાર પરંતુ હજુ સુધી જરૂરી દસ્તાવેજો રજૂ ન કરનાર ખેડૂતોને તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા અને બિલો રજૂ નહીં કરનાર ખેડૂતો સહાયના લાભથી વંચિત રહી શકે છે.
બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર, અનેક ખેડૂતોએ વિવિધ યોજનાઓ માટે અરજી કરી પૂર્વ મંજૂરી મેળવી લીધી છે, પરંતુ ખરીદી અથવા વાવેતર સંબંધિત દસ્તાવેજો હજુ સુધી કચેરીમાં જમા કરાવ્યા નથી. પરિણામે આવા અરજદારોની સહાય પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. આથી તમામ પૂર્વ મંજૂરી મેળવનાર લાભાર્થીઓને ખરીદી અથવા વાવેતરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેના અસલ બિલો અને જરૂરી આધાર-પુરાવાઓ સાથેની દરખાસ્ત સમયસર રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર પોતાની અરજી અનુસાર જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા રહેશે. ત્યારબાદ ખરીદી કે વાવેતરના બિલો તેમજ અન્ય આધારભૂત દસ્તાવેજો સાથેની ભૌતિક અરજી મોરબીના લાલબાગ સ્થિત તાલુકા સેવા સદનના રૂમ નંબર 226-227માં આવેલી નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવવાની રહેશે. બાગાયત વિભાગે ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે દસ્તાવેજોની પ્રક્રિયામાં વિલંબ થવાથી યોજનાકીય સહાય મંજૂર કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી તમામ અરજદારો સમયમર્યાદાનો કડક પાલન કરે અને જરૂરી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરે તે જરૂરી છે. યોજનાકીય સહાય, જરૂરી દસ્તાવેજો અથવા અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા ઈચ્છતા ખેડૂતો નાયબ બાગાયત નિયામક કચેરીના સત્તાવાર ફોન નંબર 02822-241240 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે. બાગાયત ક્ષેત્રે ખેડૂતોને આધુનિક ખેતી અને આવકવૃદ્ધિ માટે સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ દસ્તાવેજો રજૂ કરવામાં બેદરકારી દાખવતા ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય તે માટે બાગાયત વિભાગે આ મહત્વપૂર્ણ અપીલ કરી છે.






