અજાણ્યા સ્કોર્પિયો ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી: પિતા-પુત્ર બંનેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ.
મોરબી કોર્ટમાં મુદત પૂરી કરીને જીકીયારી ગામ પરત ફરી રહેલા પિતા-પુત્રના મોટરસાયકલને નીચી માંડલ ગામથી વાંકડા તરફ જવાના રસ્તે અજાણ્યા સ્કોર્પિયો ચાલકે પાછળથી ટક્કર મારતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના જીકીયારી ગામના પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા અને તેમના પુત્ર મેહુલભાઈ ગત તા.૧૫ જૂને મોરબી કોર્ટમાં મુદત પૂર્ણ કરી મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-ડીએચ-૫૧૦૯ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે નીચી માંડલથી વાંકડા તરફ જતાં રસ્તે કેનાલ નજીક પાછળથી આવી રહેલી અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી તેમના મોટરસાયકલને ટક્કર મારી હતી.
અકસ્માતમાં પ્રાણજીવનભાઈને ડાબા હાથના કાંડા પાસે ફ્રેક્ચર તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પુત્ર મેહુલભાઈને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો સ્કોર્પિયો ચાલક પોલીસને જાણ કર્યા વિના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતના બનાવ તાલુકા પોલીસે પ્રાણજીવન ભાઈની ફરિયાદને આધારે આરોપી સ્કોર્પિયો કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






