ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ગત તા. 13ના રોજ થયેલા હુમલાના બનાવમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર બનાવ હવે હત્યામાં પલટાયો છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ ગામનો જગદીશ ઝાપડા નામનો ઇસમ અવારનવાર જાહેર મિલકતોને નુકસાન પહોંચાડતો હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારની હરકતો ન કરવા માટે ગામના 75 વર્ષીય બેચરભાઈ નમેરાએ તેને ટકોર કરી હતી. જોકે આ વાત આરોપી જગદીશ ઝાપડાને ન ગમતા તેણે ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઘા માર્યા હતા.
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બેચરભાઈ નમેરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધના મોત બાદ બનાવ હત્યામાં પલટાયો છે.
બનાવ અંગે પોલીસે અગાઉ આરોપી જગદીશ ઝાપડાને હત્યાની કોશિશના ગુનામાં ઝડપી જેલહવાલે કર્યો હતો. હવે વૃદ્ધના મોત બાદ આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






