મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં માનવતા મરી પરવારી હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાંથી પકડી લાવવામાં આવતા આખલાઓને રાખવામાં આવતા આ નંદીઘરમાં નવ જેટલા આખલાઓના મોત થયા હોવા છતાં તેમના મૃતદેહો ઘણા દિવસોથી ત્યાં જ પડ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ નંદીઘરમાં હાલ 900થી વધુ આખલાઓ રાખવામાં આવ્યા છે. જોકે મૃત્યુ પામેલા આખલાઓના મૃતદેહોનો સમયસર નિકાલ ન થતાં મૃતદેહો અન્ય જીવતા આખલાઓ વચ્ચે જ સડી ગયા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. આ સ્થિતિને લઈને પશુપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
મૃતદેહોમાંથી દુર્ગંધ ફેલાતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા મૃતદેહોને હટાવવાની તસ્દી લેવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે. નંદીઘરની હાલતને લઈને મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ મામલે મોરબી મનપાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે નંદીઘરનું સંચાલન કરતી એજન્સી જવાબદાર છે અને તેમને યોગ્ય સૂચના આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે ચર્ચા જાગી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.






