વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે બાજરીના ડાંડર વાઢવાની ના પાડતા જેનો ખાર રાખી બે શખ્સોએ ખેડૂતને રસ્તામાં રોકી લાકડી વડે માર માર્યો હતો. ત્યારે આ હુમલામાં ખેડૂતને માથા સહિત શરીરે ઇજા પહોંચતા સારવાર માટે પહેલા વાંકાનેર અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ ભોગ બનનાર ખેડૂતની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામના ખેડૂત ગોરધનભાઈ માવજીભાઈ સાપરા ઉવ.૫૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓની વાડીમાં ઉનાળુ બાજરીના ડાંડર કાઢવાની કામગીરી ચાલુ હોય તે દરમિયાન ત્યાં આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા તથા તેમની બહેન ડાંડર વાઢતા હોય ત્યારે આરોપી ગોપાલભાઈ સાથે અગાઉ માથાકૂટ બોલાવહાલી થઈ હોય જેથી ખેડૂત ગોરધનભાઈએ ડાંડર વાઢવાની ના પાડતા આરોપી ગોપાલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને “સાંજ નહીં પડવા દઉં” તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા.
બાદમાં ગોરધનભાઈ દલડી ગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ પાસે આરોપી ગોપાલભાઈ અને ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણા બન્ને રહે. કાછીયાગાળા તા.વાંકાનેર વાળાએ રસ્તામાં રોકી બંનેએ લાકડીઓ વડે ગોરધનભાઈ પર હુમલો કરી શરીર તથા માથાના ભાગે માર માર્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






