૧૫ જૂને ટ્રેક્ટર રેલી યોજી સરકાર અને વીજ કંપનીઓને ખેડૂતોનો પાવર બતાવવાનો હુંકાર.
જેતપર ગામે કિસાન સંઘર્ષ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વીજલાઈનના વિરોધ મુદ્દે યોજાયેલી બેઠકમાં પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૧૫ જૂને ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજવા સહિતની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વીજલાઈન વિરોધ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગામ તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો ઉમટી પડ્યા હતા. સભાને સંબોધતા ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ સરકાર અને વીજ કંપનીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે પોલીસનો હાથ ખેડૂતોના ગળા સુધી પહોંચી ગયો છે. તેમણે ખેડૂતોને એકતા દાખવી પોતાના હક્ક માટે લડત મજબૂત બનાવવાની અપીલ કરી હતી.
બેઠક દરમિયાન આગામી ૧૫ જૂને ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજી સરકાર અને વીજ કંપનીઓને ખેડૂતોની શક્તિ બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ ખેડૂતોના હક્ક, કાયદાકીય માર્ગદર્શન અને આગામી આંદોલનની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ સહિતના ખેડૂત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






