મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હળવદ શહેરમાં પાણીપુરી અને નાસ્તાની લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચટણી તથા ન્યૂઝપેપરના કાગળોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કુલ 8 ખાદ્ય નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી તેમજ નાસ્તાની કુલ 9 લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક લારીઓ પરથી માનવ આરોગ્ય માટે હાનિકારક અખાદ્ય ચટણી મળી આવી હતી તેમજ નાસ્તો પીરસવા માટે ન્યૂઝપેપરના કાગળોનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તેનો તાત્કાલિક સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પાણીપુરીનો મસાલો, તીખું-મીઠું પાણી તેમજ અન્ય નાસ્તાના પદાર્થો મળી કુલ 8 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને પરીક્ષણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.
હવે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર કામગીરીને લઈને ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.






