રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ચાર પાકા કેદીઓને સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર કાયમી ધોરણે જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ કેદીઓ 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહ્યા હતા અને તેમનો જેલ રેકોર્ડ સારો હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હત્યા સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા ચાર કેદીઓને બીએનએસએસની કલમ 473 અને 475 હેઠળ બાકીની સજા માફ કરી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના ગૃહ વિભાગ તેમજ જેલોના વડાની કચેરીના તા. 06/05/2026ના હુકમને આધારે રાજકોટ જેલ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમુક્ત કરાયેલા કેદીઓમાં ઘોહાભાઈ નાનાભાઈ સાંડસૂર (રહે. કલમોદર, તા. મહુવા, જી. ભાવનગર), જીવણભાઈ જેરામભાઈ રાઠોડ (રહે. વિરપર, તા. ટંકારા), મહેન્દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ મનુભાઈ ચાવડા (રહે. રાજકોટ) તથા જયેશભાઈ નાગાજણભાઈ ખુંટીનો સમાવેશ થાય છે. જેલ અધિક્ષક વી.પી. ગોહિલે તમામ મુક્ત થયેલા કેદીઓને પુસ્તક ભેટ આપી સમાજમાં પુનઃસ્થાપિત થવા શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જેલના જ્યુડિશિયલ વિભાગ, જેલર અને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.





