વાંકાનેરના રાજાવડલા ગામે મકાનના જૂના વિવાદનો ખાર રાખી સગા ભાઈને બે ભાઈઓ તથા ભાભીઓ દ્વારા ઘરે આવી યુવક સાથે ઝઘડો કરી લાકડી વડે હુમલો કર્યો હતો. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતા. હાલ યુવકની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા ઉવ.૩૨એ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને તેમના સગા ભાઈઓ સાથે મકાન અંગે વિવાદ ચાલતો હોય અને અગાઉ પણ ઝઘડો થાયેક હોય જેનો ખાર રાખી ગત તા.૨૧ જુલાઈના રોજ તેમના ઘરે તેમના ભાઈ અનવરભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા, અસરફભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા અને રૂબીયાબેન અસરફભાઈ વડાવીયા આવીને તેમને ગાળો આપવા લાગ્યા હતા. જેથી ગાળો આપવાની ના પાડતાં આરોપી અનવરભાઈએ લાકડી વડે માથામાં ઘા માર્યો હતો, જ્યારે અન્ય ત્રણેયે ઢીકાપાટુનો માર મારી માથા તથા શરીરે ઈજાઓ પહોચાડી હતી. જે બાદ ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત અફસાદભાઈને પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. હાલ આ મામલે વાંકાનેર સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમો હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






