ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય અને ગૂંગળાવી નાખે તેવી દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. આર્ય નગરના છેવાડે આવેલા જબલપુર તળાવમાં કોઈ અજ્ઞાત તત્વો દ્વારા ઓઈલ મિલમાં કપાસિયા-રૂ નોખા કરવાના મશીનનો કચરો (વેસ્ટ મટીરીયલ) ફેંકી સળગાવી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વહીવટી તંત્ર તાકીદે ‘સુઓમોટો’ સંજ્ઞાન લઈ કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આર્ય નગરની સરદાર નગર સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી બળેલા ચામડા જેવી અજીબોગરીબ અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ ભયંકર દુર્ગંધના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તળાવમાં જે વેસ્ટ મટીરીયલ ફેંકવામાં આવ્યું છે, તે ઓઈલ મિલના મશીનોમાં વપરાતા ગોળ રાઉન્ડના પાર્ટ્સ સાફ કર્યા પછીનો કચરો હોવાનું જણાય છે. આ પ્રકારના પાર્ટ્સનું રિપેરિંગ અને સફાઈનું કામ મોટાભાગે લેથ મશીનના કારખાનાઓમાં થતું હોય છે. જો જવાબદાર અને નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા આ દિશામાં તટસ્થ તપાસ કરવામાં આવે, તો આ પર્યાવરણીય ગુનો કરનાર અસામાજિક તત્વો ઝડપથી પકડાઈ શકે તેમ છે.
ચિંતાજનક બાબત એ છે કે ટૂંક સમયમાં જ ચોમાસાની શરૂઆત થવાની છે. જો વરસાદી પાણી આ કેમિકલયુક્ત મટીરીયલ્સ સાથે ભળશે, તો આખું તળાવ ઝેરી બની જશે. જબલપુરનું આ એ જ તળાવ છે જ્યાં શિયાળા દરમિયાન હજારો કિલોમીટર દૂરથી વિદેશી પ્રવાસી પક્ષીઓ (યાયાવર પક્ષીઓ) અહી મુકામ કરે છે. અત્યારે પણ આ તળાવમાં હજારો જળચર જીવો વસવાટ કરે છે. જો આ ઝેરી કચરાનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો આ તમામ જીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થશે.
સ્થાનિકોની હેરાનગતિ અને “પ્રકૃતિ વિરુદ્ધનો આ ગુનો ક્યારેય સાંખી શકાય તેમ નથી. તંત્ર તાત્કાલિક આ મટીરીયલ ઝેરી છે કે નહીં તેની લેબોરેટરી તપાસ કરાવે, આ કચરો ત્યાંથી હટાવે અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરી પોતાની સજાગતા બતાવે.”
હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ગંભીર મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે અને ગુનેગારો સુધી ક્યારે પહોંચે છે.






