મોરબી-માળિયા(મીં)ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ. પ્રશાંત મેરજાના અકાળ નિધન બાદ તેમની સ્મૃતિમાં દર વર્ષે સર્વરોગ નિદાન, સારવાર અને મફત દવાનો કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે વાવડી સ્થિત વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન કબીર ધામના મહંત શ્રી શિવરામ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત અનેક રાજકીય અગ્રણીઓએ મુલાકાત લઈ આયોજનને બિરદાવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના આશરે ૧૦ જેટલા નિષ્ણાત ડૉક્ટરો જેમ કે ડૉ. ભાવિન ગામી, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. ઉમેશ ગોધવીયા, ડૉ. નિધિ સુરાણી ભાડજા, ડૉ. મનસુખ પરમાર અને ડૉ. કલ્પેશ રંગપરિયા વગેરે દ્વારા આશરે ૪૦૦ દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ આયોજક સન્ની મેરજાના માર્ગદર્શન હેઠળ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વેદાંત સ્કૂલ સુધી પહોંચવા બસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત, કેમ્પમાં શિક્ષણ, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સ્વ.ડૉ. પ્રશાંત મેરજાનું ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાનું સ્વપ્ન હતું, જે આજે પણ તેમના પરિવાર દ્વારા આવા કેમ્પો દ્વારા જીવંત રાખવામાં આવી રહ્યું છે. ગરીબ દર્દીઓ પ્રત્યે સંવેદના દર્શાવતા સુશીલા બ્રિજેશ મેરજાએ વૃદ્ધ અને અશક્ત દર્દીઓની સેવા કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા કેશુભાઈ ગામી, પ્રવીણ મેરજા તેમજ વેદાંત સ્કૂલની ટીમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. અંતે, સેવા આપનાર ડૉક્ટરો અને ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિચિહ્નરૂપે પુસ્તકો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.









