ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવી ખેડૂતની ખોટી ઓળખ ધારણ કરીને છેતરપિંડી આચરવાના ગંભીર ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે, જેમાં તે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ અને ડી.વાય.એસ.પી. જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ મુજબ, મોરબીના ભક્તિનગર સર્કલ નજીક રાફડાની વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ તળશીભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતાના નામે ખોટા અને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ વારસાઈ પેઢીનો આંબો તૈયાર કરીને અજાણ્યા શખ્સે ખેડૂત ખાતેદાર તરીકે પોતાની ખોટી ઓળખ ઉભી કરી હતી. આ ઉપરાંત બનાવટી દસ્તાવેજોના આધારે સાક્ષી અને અન્ય દસ્તાવેજો તૈયાર કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નં. 1984/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 319, 337, 338 અને 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી છેલ્લા આઠ મહિનાથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનો નં. 0613/2026માં પણ નામ ખુલ્યું હતું. પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81 અને 98(2) હેઠળ નોંધાયેલા આ ગુનામાં પણ તે છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી દર્શીતભાઈ પ્રવીણભાઈ મેવાડા ઉર્ફે ભરવાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ આરોપી સામે દસ્તાવેજી કૌભાંડ અને પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા હોવાના કારણે પોલીસ હવે તેની વધુ પૂછપરછ કરી રહી છે. સાથે જ બનાવટી દસ્તાવેજોના આધારે અન્ય કોઈ છેતરપિંડી કે જમીન સંબંધિત વ્યવહારો થયા છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.






