ગાયત્રી આશ્રમ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૭૪ વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજાઓ, રાજકોટ સારવાર દરમિયાન દમ તોડ્યો.
મોરબીના નેક્સસ સિનેમા સામે રોડની સાઈડમાં લીલું નિરણ વેચી રહેલા ૭૪ વર્ષીય પ્રભુભાઈ અગેચાણીયાને માલવાહક બોલેરોએ હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ સ્થિત ગાયત્રી આશ્રમ સામે અને નેક્સસ સિનેમા નજીક માળીયા બાયપાસ રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં લીલું નિરણ વેચતા વૃદ્ધનું મોત નિપજ્યું છે આ અકસ્માતના બનાવ અંગે ફરિયાદી મહેશભાઈ જેઠાભાઈ અગેચાણીયાની ફરિયાદના આધારે પોલીસે માલવાહક બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૮૫૬૨ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જેમાં મૃતક પ્રભુભાઈ મુળજીભાઈ અગેચાણીયા ઉવ.૭૪ રહે. ધુતારીવાડી વિસ્તાર નવલખી રોડ મોરબી વાળા બાયપાસ રોડ પર લીલું નિરણ વેચવાનો ધંધો કરતા હતા. ત્યારે ગઈકાલ તા.૧૩ જૂનના રોજ સવારે તેઓ રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે મોરબી તરફથી માળીયા તરફ જઈ રહેલી સફેદ રંગની માલવાહક બોલેરોના ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે વાહન ચલાવી આવી પ્રભુભાઈને હડફેટે લીધા હતા.
અકસ્માતમાં પ્રભુભાઈને ચહેરા, હાથ તેમજ બંને પગમાં ગંભીર ઇજાઓ અને ફ્રેક્ચર થયા હતા. જેથી તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






