રફાળેશ્વરથી જામનગર જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો, મૃતકની પત્નીએ આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
ટંકારાના લતીપર રોડ પર આઇસર અને રીક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં જામનગરના એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની, પુત્ર અને રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી. હાલ આઇસરના ચાલક સામે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ટંકારા તાલુકાના લતીપર રોડ પર તાલુકા પંચાયત નજીક ગઈ તા.૧૦ જૂનના રોજ સર્જાયેલા અકસ્માતમાં જામનગરના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતની ફરિયાદમાં જામનગર એરફોર્સ રેલ્વે કોલોની ખેતીવાડી સામે જામનગર વાળા મીરાબેન નરશીભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ પોતાના પતિ નરશીભાઈ પ્રાગજીભાઈ મકવાણા અને પુત્ર કાના સાથે રફાળેશ્વરથી જામનગર જવા માટે રીક્ષા જઈને-૩૬-યુ-૫૬૨૨માં જઈ રહ્યા હતા તે દરમિયાન ટંકારા લતીપર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક પહોંચતા આઇસર ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી અચાનક રોડ વચ્ચે આવી જતા રીક્ષા સાથે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માતમાં ફરિયાદી મીરાબેનને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, રીક્ષા ચાલકને પણ ઇજા થઈ હતી. જ્યારે રીક્ષામાંથી નીચે પટકાયેલા નરશીભાઈ મકવાણાને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે આરોપી આઇસરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






