મોરબી તાલુકા પોલીસ મથકમાં અલગ-અલગ અપમૃત્યુના બે બનાવ નોંધાયા છે. ઘુંટુ ગામની સીમમાં એક શ્રમિક અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે લાલપર પાસે હોનેસ્ટ હોટેલ સામે પાણી ભરેલી ગટરમાં પડી જતાં એક પ્રૌઢનું મોત થયું હતું. પોલીસે બંને બનાવોમાં અપમૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતમાં, પ્રથમ બનાવમાં ઘુંટુ ગામની સીમમાં કાલી સિરામિક કંપની સામે આવેલી વાડીના શેઢા પાસેથી મૂળ મધ્યપ્રદેશના વતની અને કાલી સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા ૫૫ વર્ષીય માનાભાઈ કાળુભાઈ ડામોર અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવની મળેલ વિગતો મુજબ, લાલપર ગામ પાસે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટેલ સામે આવેલા સર્વિસ રોડની બાજુમાં પાણી ભરેલી ગટરમાં પડી જતાં ૫૧ વર્ષીય ભરતભાઈ બચુભાઈ વાસદડીયા રહે. મોરબી શનાળા રોડ કૈલાસ સોસાયટી મૂળ રહે. લાલપર ગામ વાળાનું ડૂબી જવાથી મોત થયું હતું. બંને બનાવોમાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.






