વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરી ખનિજ ખનન માટે બ્લાસ્ટિંગ કરવાની તૈયારીના કેસમાં ઝડપાયેલા રાજકોટના શોર્ટ ફાયરર વનરાજસિંહ રઘુવિરસિંહ ગોહીલને મોરબીની સેશન્સ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. માત્ર પાંચ દિવસના સમયગાળામાં અરજીનો નિકાલ કરતા કોર્ટે રૂ. 25 હજારના જામીન અને સમકક્ષ જાતમુચરકાની શરતે આરોપીને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વનરાજસિંહ ગોહીલ સામે BNS કલમ 288, 110, વિસ્ફોટક અધિનિયમની કલમ 9(બી)(1)(બી) તેમજ વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીની તરફેથી વકીલ એમ.પી. ઓઝાએ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. અરજદાર પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે બનાવ સમયે આરોપી ઘટનાસ્થળે હાજર નહોતો, તેની પાસેથી કોઈ વિસ્ફોટક સામગ્રી કબજે કરવામાં આવી નથી અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી. વધુમાં કેસના અન્ય સહઆરોપીઓને અગાઉથી જામીન મળ્યા હોવાથી સમાનતાના સિદ્ધાંત (Parity)ના આધારે આરોપીને પણ જામીનનો લાભ મળવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ સરકાર પક્ષે દલીલ કરી હતી કે, આરોપી ‘રાજ ચામુંડા’ નામથી એક્સપ્લોઝિવ લાયસન્સ અને શોર્ટ ફાયરર સર્ટિફિકેટ ધરાવે છે. મુખ્ય આરોપીઓના કહેવાથી તેણે સતાપર ગામની સીમમાં સરકારી જમીનમાં કોઈ મંજૂરી વિના બ્લાસ્ટિંગ માટે 98 જેટલા બોર કરાવ્યા હતા અને તેમાંથી 23 બોરમાં જિલેટીન સ્ટિક્સ ગોઠવી વિસ્ફોટ કરવાની તૈયારી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રાહદારીઓ, માલધારીઓ અને પશુઓના જીવને જોખમ ઉભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સરકાર પક્ષે કોર્ટને જણાવ્યું હતું. કેસની દલીલો, તપાસની હાલની સ્થિતિ અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ અધિક સેશન્સ જજે નોંધ્યું હતું કે કેસની મોટાભાગની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને આરોપીની વધુ કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત દર્શાવતું કોઈ વિશેષ કારણ સામે આવ્યું નથી. સાથે જ આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયો નથી. આથી કોર્ટે આરોપી વનરાજસિંહ ગોહીલને રૂ. 25 હજારના જામીન અને તેટલી જ રકમના જાતમુચરકાની શરતે મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને કેસની ટ્રાયલ દરમિયાન નિયમિત હાજરી આપવા, સાક્ષીઓને પ્રભાવિત નહીં કરવા, પુરાવા સાથે ચેડાં નહીં કરવા, કોર્ટની મંજૂરી વિના દેશ બહાર નહીં જવા તેમજ તપાસ અધિકારી બોલાવે ત્યારે હાજર રહેવા સહિતની કડક શરતો ફરમાવી છે.
કોર્ટના આદેશ મુજબ આરોપી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી દર મહીનાની 1લી અને 15મી તારીખે તપાસ અધિકારી સમક્ષ હાજરી આપશે. ઉપરાંત કેસની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાંકાનેર તાલુકાના તરકીયા ગામની હદમાં પોતે અથવા તેના માણસો પ્રવેશ નહીં કરે તેવી પણ વિશેષ શરત કોર્ટે લાદી છે.






