મચ્છુ નદીની સફાઈને પ્રાથમિકતા, આગામી ૨-૩ મહિનામાં અનેક નવી સિટી બસ શરૂ કરવાની જાહેરાત
મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આશરે બે કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલી હતી. સફાઈ કર્મચારીઓની ઘટ, ઉભરાતી ગટરો, કચરા કલેક્શન, આઉટસોર્સ કર્મચારીઓના પગાર, મચ્છુ નદીની સફાઈ અને સિટી બસ સહિતના મુદ્દે સભ્યોએ તંત્રને સવાલો કર્યા હતા.
મેયર ઉત્તમ સુરાણીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વિવિધ મહત્વના ઠરાવો મંજૂર કરાયા હતા. મનપામાં ભળેલા ૯ પંચાયત વિસ્તારો માટે A, B, C લોકેશન ગ્રેડને બહાલી, પંચાસર માર્ગ પર પ્રવેશ ગેટ અને બે સ્થળે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનો નિર્ણય લેવાયો હતો. શનાળા બાયપાસથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને ‘SVMS સ્વામીનારાયણ માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. સભામાં સફાઈ કર્મચારીઓની ઘટ અને ઉભરાતી ગટરોના પ્રશ્નો ઉઠાવાયા હતા. મોરબીમાં માત્ર બે સિટી બસો કાર્યરત હોવા મુદ્દે આગામી ૨થી ૩ મહિનામાં અનેક નવી બસો શરૂ કરવાની માહિતી અપાઈ હતી. મચ્છુ નદીની લાંબા સમયથી સફાઈ ન થઈ હોવાના મુદ્દે મેયરે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં તેને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. તેમજ દર મહિને રવિવારે ૫૨ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.






