મોરબીમાં આજે મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સીતારામ સેવા ગ્રુપ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા તથા છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો તેમજ સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.
ઉનાળાની ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાસ પીવડાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આયોજન અંગે સીતારામ સેવા ગ્રુપના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ ઠંડાપીણા અને છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.






