મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને સામાજિક કાર્યકર ચિંતન રાજ્યગુરુ દ્વારા પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ વિકાસ અને સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવા અંગેની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી શહેરના વિકાસને વેગ આપવા માટે સામાજિક કાર્યકર ચિંતન રાજ્યગુરુએ મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે. જેમાં પાડા પુલ નીચે નટરાજ પાસે બેઠા પુલથી ધરમપુર રોડ સુધીના વિસ્તારમાં રિવરફ્રન્ટ વિકાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે આ વિસ્તાર વિકાસ માટે સંભાવનાશીલ છે અને અહીં વોકિંગ-સાયકલ ટ્રેક, ગાર્ડન, પ્લે ઝોન, ફૂડ કોર્ટ, ઓપન જીમ સહિતની સુવિધાઓ ઉભી કરી શહેરને આકર્ષક બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસથી વિદ્યુતનગર સુધીના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુવ્યવસ્થિત રહેણાંક વિકસાવવા પણ માંગ કરવામાં આવી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આધુનિક સુવિધાઓ સાથે આવાસ મળી શકે. અંતમાં, બંને પ્રોજેક્ટ માટે તાત્કાલિક સર્વે કરી ડીપીઆર તૈયાર કરીને કામગીરી શરૂ કરવાની માંગણી સાથે નમ્ર રજુઆત કરવામાં આવી છે.





