મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમાં આવેલી વાડી નજીકના ખાલી વોકળામાં આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જોધપર(નદી) ગામની સીમમાં છગનભાઈ લવજીભાઈ બરાસરાની વાડી પાસે આવેલા ખાલી વોકળામાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા જે અંગે સ્થાનિક ખેડૂત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલ અ.મોત દાખલ કરી પોલીસે મૃતકની ઓળખ તેમજ મોતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે.






