મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડી રૂ.55 લાખના વાહનો કબ્જે કર્યા છે. બિલેશ્વર મહાદેવ મંદિર નજીક ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે થયેલી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, સરહદ રેન્જ ભુજના રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમો સતત વોચ રાખી રહી હતી. દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા માર્ગ નજીક આવેલા વોકળા વિસ્તારમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે એલસીબીની ટીમે મોરબી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી કણકોટ ગામના રહેવાસી પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણાને ગેરકાયદેસર ખાણ ખનિજ પ્રવૃત્તિ કરતા ઝડપી લેવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન પોલીસે ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા GJ-36-52246 નંબરનું JCB મશીન, જેની અંદાજિત કિંમત રૂ.30 લાખ છે, તેમજ GJ-02-XX-6442 નંબરનો ટ્રક ડમ્પર, જેની કિંમત રૂ.25 લાખનાં બે વાહનો પણ કબ્જે કર્યા હતા.આમ કુલ રૂ.55 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સરકારી જમીનમાંથી મંજૂરી વિના ખનીજનું ખનન કરીને તેનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હતું. ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા આરોપીઓ સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે સતત ઝુંબેશ ચાલી રહી છે. કણકોટ ગામ નજીક થયેલી આ કાર્યવાહી ખનીજ ચોરી સામે તંત્રના કડક વલણનો વધુ એક પુરાવો માનવામાં આવી રહી છે.






