મોરબી શહેરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા ઉમા સ્ટીલ શોરૂમ ખાતે થયેલા અપહરણ, મારામારી અને ધમકીના કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેસમાં આરોપી ને નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, મોરબીએ નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 15 માર્ચ 2026ના રોજ ઉમેશભાઈ ત્રિભુવનભાઈ મેરજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બે નામજોગ આરોપીઓ અને ચાર અજાણ્યા શખ્સો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદ અનુસાર, ઉમા સ્ટીલ શોરૂમની બહાર નડતરરૂપ ઉભેલા ટ્રકને આગળ ખસેડવાની બાબતે ફરિયાદીના ભાઈ ચિરાગભાઈ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દિનેશભાઈ મકવાણા સફેદ ફોર્ચ્યુનર કારમાં ધોકો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે રહેલા અન્ય શખ્સોએ ફરિયાદીનું અપહરણ કરવાની વાતો કરી હતી તેમજ ગાળો અને ધમકીઓ આપી હતી. વધુમાં, સાંજના સમયે પણ ફોન મારફતે સમાધાન કરવાની ના પાડી ફરિયાદી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા તરફેથી રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ વી. ડોડીયા, એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા અને એડવોકેટ યુવરાજસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા. બચાવ પક્ષે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરીને કોર્ટ સમક્ષ વિસ્તૃત દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો અને કેસના રેકોર્ડ પર ઉપલબ્ધ વિગતોનું અવલોકન કર્યા બાદ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ કેસની શરૂઆતથી જ મોરબીમાં વ્યાપક ચર્ચા ચાલી રહી હતી. હવે આરોપીને જામીન મળતા કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જોકે, કેસની ટ્રાયલ પ્રક્રિયા હજુ ચાલુ રહેશે અને અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદા બાદ જ સ્પષ્ટ થશે.






