ઇકો કારમાં ક્રૂરતાપૂર્વક ઘેટાંને ભરીને લઈ જવતા હોવાની ગૌરક્ષકોની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી, ખાટકીવાસમાં ગેરકાયદે કતલખાનાના આક્ષેપોથી હિન્દુ સમાજમાં રોષ.
મોરબીના ખાટકીવાસમાં કતલખાને લઈ જવાતા ૧૫ ઘેટાંને ગૌરક્ષકો અને પોલીસની ટીમે બચાવી લીધા છે. બનાવને પગલે મોરબી મહાનગરપાલિકા સામે હિન્દુ સમાજ અને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કતલખાનાની પરવાનગી ન હોવાના આક્ષેપ વચ્ચે ખાટકીવાસમાં ગેરકાયદે કતલખાના કેવી રીતે ચાલી રહ્યા છે તે અંગે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
મોરબીમાં તા.૧૨ ઓગસ્ટના વહેલી સવારે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છ તરફથી માળિયા થઈ મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં એક ઇકો કાર મારફતે ઘેટાંને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે ગૌરક્ષકો માળિયા પાસે વોચમાં ગોઠવાયા હતા. બાતમી મુજબની જીજે-૩૯-સીબી-૪૦૫૬ નંબરની ઇકો કાર પસાર થતાં ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોએ મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે ઇકો કારને અટકાવી તપાસ કરતાં કારમાં ૧૫ ઘેટાં મળી આવ્યા હતા. જેમાં ઘેટાંને હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા અને તેમની માટે ઘાસ-પાણીની પણ કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી.
પકડાયેલ ડ્રાઇવરની પૂછપરછ દરમિયાન આ ઘેટાં કચ્છ તરફથી લાવવામાં આવ્યા હોવાનું અને મોરબીના ખાટકીવાસમાં કતલ કરવા માટે લઈ જવાતા હોવાનું કબૂલ્યું હતું. આ સાથે પોલીસે ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી ઇકો કાર જપ્ત કરી છે. આ સમગ્ર કાર્યવાહી મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની તેમજ ચોટીલા અને લીંબડીના ગૌરક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
દરમિયાન, અબોલ જીવોને કતલખાને લઈ જવાના બનાવો વારંવાર સામે આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાનાની પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં ખાટકીવાસ વિસ્તારમાં કતલખાનાની પ્રવૃત્તિ કેવી રીતે ચાલી રહી છે? અવારનવાર રજૂઆતો છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપો થયા છે. હિન્દુ સમાજ અને ગૌરક્ષક સંગઠનોએ ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી તેમને બંધ કરાવવાની માંગ ઉઠાવી છે.






