વાંકાનેર મેઈન બજારમાં આવેલી ખુશાલ જવેલર્સમાં ગ્રાહક બની આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચુકવી આશરે રૂ.૧.૮૫ લાખની કિંમતની ૬૫ નંગ સોનાની બાલી(નથડી)ની ચોરી કરી લઈ ગયા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર મેઈન બજારમાં નવકાર સિલેક્શન સામે આવેલી ખુશાલ જવેલર્સમાં ગત તા.૨૪ ઓગસ્ટે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બે મહિલાઓ ચાંદીની રાખડી ખરીદવાના બહાને આવી હતી. દુકાનદારને રાખડી બતાવવાનું કહી બાદમાં સોનાની બાલી (નથડી) બતાવવા કહેતાં તેમને પ્લાસ્ટિકની બે કોથળીમાં પેક કરેલી બાલીઓ બતાવવામાં આવી હતી. દરમિયાન દુકાન માલિક રીપેરીંગમાં આપેલ દાગીના લેવા તથા ભાડું લેવા આવ્યા હોવાથી દુકાનદાર તેમની સાથે વ્યસ્ત હોય તે દરમિયાન બંને મહિલાઓ રાખડીનો ભાવ ઓછો કરવા કહી થોડા સમય બાદ આવવાનું જણાવી જતી રહી હતી.
મહિલાઓ ગયા બાદ તપાસ કરતાં પ્લાસ્ટિકના પેકિંગમાં રાખવામાં આવેલા સોનાની બાલી(નથડી)ના બે પેકેટમાંથી એક પેકેટ ગાયબ હતું. તેમાં આશરે ૬૫ નંગ બાલી કુલ વજન આશરે ૧૪ ગ્રામ કિ.રૂ.૧,૮૫,૦૦૦/- હતું. જે બાદ દુકાનદારે પોતાની રીતે તપાસ કરવા છતાં ન મળી આવતા ખુશાલ જવેલર્સમાં નોકરી કરતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા ઉવ.૩૨ રહે.સરોડી ગામ તા-થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળાએ અજાણી બે મહિલાઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






