નવતર અભિગમને મળ્યો જબ્બર પ્રતિસાદ; શુભકામનાઓ સાથે થયું ૩૩૧ યુનિટ બ્લડ એકત્રિત
હળવદના સેવાભાવી નવયુવાન ગૌસેવક અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેના ૩૪ માં જન્મદિવસ નિમિતે હળવદના બજરંગ બેન્કવેટ હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ આશય સાથે આયોજીત રક્તદાન કેમ્પમાં ૩૩૧ રક્તદાતાઓએ તપનભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હોંશે હોંશે રક્તદાન કર્યું હતું.
વર્તમાન સમયે ૪૫ ડિગ્રી તાપમાનમાં આસપાસના વિસ્તારની બ્લડ બેંક માં લોહીની તીવ્ર અછત હોવાથી થેલેસેમીયા અને અન્ય બીમારીનામાં લોહીની જરૂરિયાત થાય ત્યારે દર્દીના સગા-સબંધીઓને લોહી મેળવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ અંગે હળવદના સેવાભાવી નવયુવાને જન્મદિવસની ઉજવણી ઉમદા સેવાકાર્ય સાથે લોક કલયાણ માત્ર કોઈ પ્રવૃત્તિ સાથે ઉજવવાનું નક્કી કર્યું અને તેમનો આ નિર્ણય લેવાયો અનેક લોકો માટે જીવનદાન સાબિત થશે.
કહેવત છે ને કે, સાચા હૃદયથી એક શુભ સંકલ્પ કરો તો ઇશ્વરીય શક્તિ તેને પૂર્ણ કરવા શક્તિ અને બળ પૂરું પાડે છે, ત્યારે આ એક ઉમદા વિચારને હળવદ તાલુકા અને આસપાસની જનતા ખાસ અને ખાસ કરી બહોળા પ્રમાણમાં મિત્ર વર્તુળ ધરાવતા તપન દવેના સ્નેહીજનોએ હોંશેથી વધાવી લીધો અને સ્વૈચ્છિક રીતે રકતદાન કરી અને અને અધધ.. ૩૩૧ જેટલી બ્લડની બોટલ એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી બ્લડ બેંક , સંસ્કાર બ્લડ બેંક મોરબી અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ બ્લડ બેંક સુરેન્દ્રનગર એમ તમામ બ્લડ બેંકમાં અર્પણ કરવામાં આવી હતી.
બ્લડની અછત હતી ત્યારે આ કાર્યક્રમમાં બ્લડની બોટલ એકત્ર થતા હાલ પૂરતી અછત દૂર થતા બ્લડ બેંકના સંચાલકોએ તપનભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે દર્દી નારાયણને બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત સમયે બ્લડની વ્યવસ્થા કરનાર સેવાવ્રતીઓનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરના ગોવિંદભાઈ ભરવાડ, ઋષભભાઇ શાહ, સિદ્ધાર્થભાઈ શાહ, મોરબીના લખનભાઇ હડિયલ, દિપકભાઈ પરેચા (યુવા શક્તિ ફાઉન્ડેશન) અને સુજાનગઢના શૈલેષભાઈ દલવાડી (દિવ્યાંગ)આ તમામનું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ રક્તદાતાઓને પણ આ કાળઝાળ ગરમીમાં મુશ્કેલી ન થાય તે માટે સંપૂર્ણ એ.સી હોલ માં કાર્યક્રમ યોજાયો હતો અને નાસ્તો અને ચા-પાણી તેમજ ભોજનની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય – રાજકીય – શૈક્ષણિક સંસ્થાઓ ના અગ્રણીઓ સહિત પૂજ્ય સાધુ સંતો સર્વશ્રી દીપકદાસજી મહારાજ , ભક્તિનનંદન સ્વામી , પ્રભુચરણદાસજી મહારાજ , કોઠારી સ્વામી હરિકૃષ્ણ ધામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ, હળવદ શહેર – ગ્રામ્ય યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ હળવદ, છોટાકાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ડસ યુવા ગૃપ, દિલ સે ફાઉન્ડેશન , ધર્મપ્રેમી સેવા ગ્રુપના સેવાભાવી કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.