મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોર ભાઇ ચીખલિયાએ મોરબીના ધારાસભ્યને આડેહાથ લેતાં ખુલ્લો પત્ર લખી જણાવ્યું છે કે મોરબી માળીયાના ધારાસભ્ય વિડિયો બનાવીને “પાણી આવ્યા પહેલા પાળ બાંધવાનો” પ્રયાસ કરે છે. તમે શરમ કરો, ૩૦ વર્ષથી ધારાસભ્ય છો અને તમારી સરકાર જો કેનાલ રીપેરીંગના નામે ચાર માહિના કાઢે અને એ પણ એવા સમયે જયારે સાચા અર્થમાં ખેડુતોને પાણીની જરૂર હોય, ત્યારે ચોમાસાનું આગોતરૂ વાવેતર જો મોડુ થાય તો શિયાળું વાવેતરમાં પણ ખેડુતોને મુશ્કેલીઓ વેઠવી પડે. ત્યારે ડંફાસ મારતા ધારાસભ્યને ખેડુતો પ્રત્યે સાચી હમદર્દી હોય તો કયારે પાણી આપવું તે તમને ખબર હોવી જોઈએ તેથી ખેડૂતોના હિતમાં વહેલાસર પાણી આપવાની માગ કરી છે.
મોરબી માળિયાના ધારાસભ્યએ વિડીયો બનાવી ખેડૂતોને પાણી આપવું જોઈએ તેવી વાતો કરાય છે. ત્યારે ધારાસભ્યને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચિખલિયાએ આડે હાથ લઈ માત્ર વિડીયો બનાવવાના બદલે ખેડૂતોને યોગ્ય સમયે પાણી આપવું જોઈએ તેવી માંગ કરી છે.
અને વધુમાં ધારાસભ્યને કીધું છે કે કેનાલ પર જઈને તમારી સરકારના કોન્ટ્રાકટર અને અધિકારીઓને ધમકાવો છો. પરંતુ પાણી આવતું હોય તો ખેડુતો બધુ કરી શકે. પરંતુ તમારી આવડત તો ખાલી વિડીયો બનાવાની હોય તેવું સાબીત થાય છે. બાકી ઢાંકીથી કે જે ૧૫૦ કિલોમીટર દૂર છે. તેથી પાણી માટે આગોતરૂ આયોજન કરવું જોઈએ પરંતુ પાણી હજુ સુધી કેમ નથી પહોંચ્યું ? આગોતરૂ આયોજન કરવાના બદલે આવા વિડીયો બનાવો છો પરંતુ ખેડુતો ગેરમાર્ગે નહી દોરાય, સત્ય હકીકત તો એ છે કે માળીયા બ્રાંચ કેનાલમાં હજુ પાણી આવતા ઘણો સમય લાગશે. મોરબી મચ્છુ ડેમ-૨ નીચે આવતા કમાનમાં પાણી આવતા પણ હજી ઘણો સમય લાગશે. અને ખેડુતોની હાલત હાલ અતિ દયનીય છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલનની ચિમકી આપતા ધારાસભ્યને ખબર પડી કે કોંગ્રેસ ખેડુતોને પડખે છે. તેથી ચિંમકી ઉચારવાની સાથે ધારાસભ્યની ઉંઘ ઉડી અને ખેડુતો માટેની હમદર્દી ઉભી કરવા પોતાની એક માત્ર આવડતનો ઉપયોગ ધારાસભ્યએ વિડીયો બનાવ્યો છે તેવો આક્ષેપ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. વધુમાં કહ્યું છે કે બીજી તરફ તમે ખેડુતોને ગુંડા કહો છો, પાણી ચોર અને માથાભારે કહો છો તે પણ ખેડૂત જ છે અને એ ખેડુતોને પાણી ચોરી કરવાનો શોખ નહિ થતો હોય પરંતુ તેની પણ મજબુરી હશે. અને એ મજબુરી પાછળનું કારણ એટલે આપની સરકારની નાકામી, કારણ કે આપની સરકાર ખેડુતોને પાણી પહોંચાડવાના આગોતરા આયોજનમાં નિષ્ફળ નિવડી છે તે સત્ય છે. અને તે તમારા ભાષણ પરથી પણ સાબિત થાય છે. પરંતુ હવે ખેડુતો સજાગ છે, જાગૃત છે. ખેડુતોના હકક માટે કોંગ્રેસ લડાઈ લડશે.હર હંમેશ ખેડુતોની સાથે રહેશે.હવે ખેડુતોને પોતાના હકકનું પાણી નહી મળે તો રસ્તા રોકો આંદોલન થઈને જ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.