મોરબીના આંબલીફળી વિસ્તારમાં અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાં સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. ૧.૯૩ લાખની ચોરી કર્યા અંગેની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરના નઝરબાગ મેઇન રોડ પર આવેલી પરશુરામ સોસાયટીમાં રહેતા રૂષીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૭ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૪ જૂનના રોજ ૧૨ વાગ્યાથી રાતે ૮.૩૦ સુધીના સમયગાળા દરમિયાન તેમના આંબલીફળી દરબાર શેરીના રહેણાંક મકાનમાં અજાણ્યા ઈસમે ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરીયાદ અનુસાર, અજાણ્યા ઇસમે ઘરમાં પ્રવેશ કરી કબાટનું તાળું ચાવી વડે ખોલી અંદરથી સોનાના દાગીના જેમાં એક લકી અને એક વીટી મળી કુલ રૂ.૭૩,૫૦૦/- અને સાથે રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૩,૫૦૦/-ના મુદામાલની ચોરી કરી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ટોઅસનો તજવીજ શરૂ કરી છે.