Tuesday, August 19, 2025
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના છેલ્લા સોમવારની કરાઈ અનોખી ઉજવણી :...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના છેલ્લા સોમવારની કરાઈ અનોખી ઉજવણી : 2000થી વધુ લોકોને કરાવ્યું ભરપેટ ભોજન

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને પહેલા પ્રતીકાત્મક દૂધ ચડાવી વધેલા દૂધનો સકારાત્મક ઉપયોગ કરીને ખરા અર્થમાં શિવસેવા સંદેશ આપવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણીની ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં 2000થી વધુ લોકોને દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં દરેક તહેવાર અને જન્મદિનને પ્રેરણાત્મક સેવાકાર્યમાં પરિવર્તિત કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને શ્રદ્ધા સાથે પ્રતીકાત્મક દૂધ અર્પણ કરી વધેલા દૂધનો સકારાત્મક ઉપયોગ એટલે વંચિત લોકોને દૂધપાક સાથેનું સ્વાદિષ્ટ ભોજન કરાવી ખરા અર્થમાં શિવની પ્રસન્નતા અને શિવસેવાનો સંદેશ આપવામાં આવે છે. દરમિયાન વર્ષોની આ પરંપરા મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પહેલા ભગવાન ભોળાનાથને દૂધ ચડાવી પછી જ 2000થી વધુ વંચિત લોકોને દૂધપાક સાથેનું ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ ભગવાન શિવની શ્રદ્ધા સાથે સેવાનો ઉત્તમ સંદેશ આપતો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા દુધથી વંચિત અને પોષણક્ષમ ભોજન માટે તરસતા આશરે 2000થી વધુ બાળકો તથા સ્ત્રી, પુરુષો સહિતના જરૂરિયાતમંદ લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પુરી-ભાજીથી ભરપેટ ભોજન અપાયું.હતું. માત્ર ભોજન જ નહીં, પણ તેની પાછળ પ્રથમ જીવ રાજી, પછી જ શિવ રાજીનો સંદેશ છુપાયેલો છે. યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડૉ. દેવેનભાઈ રબારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે કશું મોટું કામ કર્યું નથી. આપણા સમાજમાં જ વસતા એવા બાળકો કે જે પોષણક્ષમ ભોજનથી વંચિત છે, તેમને દૂધપાક જેવા પૌષ્ટિક ભોજનથી તૃપ્ત કરવું એ માનવતા છે. લોકો શ્રાવણના સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે. પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે. દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધ એ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય કરવાનું જ અમારું ધ્યેય છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ અર્પણ કરીએ છીએ, ત્યારે એ જ દૂધ જો પીડાતા જીવ માટે આશીર્વાદરૂપ બને તો તે સાચી પૂજા ગણાય. દુઃખી જીવને ભોજન આપીને જો તેમનું હૃદય તૃપ્ત થાય તો ભગવાન શિવ આપોઆપ પ્રસન્ન થઈ.જાય. દૂધ ભગવાન સુધી જ નહીં, બાળકના હ્રદય સુધી પહોંચે એ મહત્વનું છે. દેવને દૂધ આપવું શાસ્ત્રોક્ત છે, પણ દુઃખી જીવને તૃપ્ત કરવું એ જીવંત ધર્મ છે. ભગવાનને ખુશ કરવા ઇચ્છો છો? તો પહેલું કામ છે, ભુખ્યા જીવને તૃપ્ત કરો. શિવ પછી આપમેળે રાજી થશે. વિજ્ઞાન અને સંવેદનાની સાતત્તિ ધરાવતા યુવાનોના હાથમાં જો શ્રદ્ધા અને સેવાની જ્યોત પ્રગટે, તો એ ભવિષ્યના માટે આશાવાદી ચિહ્ન છે. યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા સતત 17 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારમાં આવી જ રીતે સેવાભાવના અભિયાન ચલાવતું આવ્યું છે. ભગવાન શિવને આદરપૂર્વક સ્મરણ કરતા સાથે સમાજના પીડિત વર્ગને મદદરૂપ થવાનું જે કાર્ય છે, તે આજે જીવંત ઉદાહરણરૂપ બની ગયું છે. આ સેવાકાર્ય દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપે ફરી એકવાર સાબિત કર્યું છે કે, શ્રદ્ધા અને સેવા જ્યારે સાથે ચાલે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!