મોરબીમાં તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીની નિર્મમ હત્યાના બનાવ બાદ મિયાણા મુસ્લિમ સમાજની વિવિધ સંસ્થાઓએ કલેક્ટર અને પોલીસવડાને આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી છે.
મોરબીમાં જમીન દલાલ તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીની હત્યા પ્રકરણને લઈને શહેરમાં રોષ વ્યાપ્યો છે. તાજેતરમાં તેમની હત્યા કરી લાશ સળગાવી જમીનમાં દાટી ઉપર સિમેન્ટ-કોન્ક્રીટનું ધાબું ભરી દેવાના ગંભીર આરોપો સામે આવ્યા હતા. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બે આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાને લઈ સુન્ની મુસ્લીમ કસબા જમાત-મોરબી સહિત મિયાણા મુસ્લિમ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર કચેરી અને મોરબી જીલ્લા પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે ક્રૂર હત્યાના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે અને ભવિષ્યમાં આવા કૃત્યો કરતા પહેલા આરોપીઓ હજાર વખત વિચારે. સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમજ સમગ્ર કેસમાં પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી મિલકત વિસ્તારમાં અપહરણ જેવી ઘટના બનવી એ પણ ગંભીર મુદ્દો છે અને શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે કડક પગલાં લેવામાં આવે.









