મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાત્રિ દરમિયાન નાઈટ-ડ્રાઈવ યોજી ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોને કાઉન્સેલિંગ કરી આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન ૩૩ લોકોને પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
શહેરના ઘરવિહોણા અને નિરાધાર લોકોને ઠંડીની ઋતુમાં આરોગ્ય પર પ્રતિકૂળ અસર ન થાય તે હેતુસર મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા તા.૨૮/૦૨ના રોજ રાત્રે વિશેષ નાઈટ-ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શાખાના અધિકારીઓ તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા ફૂટપાથ અને જાહેર સ્થળોએ રહેતા લોકોની સ્થળ પર મુલાકાત લઈ તેમને આશ્રયગૃહમાં રહેવા માટે સમજાવટ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
મોરબી ખાતે આવેલ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન શ્રી સિદ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઉપરોક્ત નાઈટ-ડ્રાઈવ દરમિયાન કુલ ૩૩ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે તબદીલ કરવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









