મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં કચરો સળગાવવા જેવી નજીવી બાબતે પડોશી પરિવારે મહિલા સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી લાકડી અને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનારે પડોશમાં રહેતા પરિવારના ચારેય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત અનુસાર, મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ પાસે ખાડામાં રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા ઉવ.૨૬ એ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. ૪ માર્ચના રોજ તેઓ પોતાના ઘર પાસે ધાસ અને કચરો સાફ કરી તેને સળગાવી રહ્યા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા આરોપી ગીતાબેન દેવજીભાઈ પરમાર અને તેમના પતિ આરોપી દેવજીભાઈ પરમાર ત્યાં આવી કચરો સળગાવવાના મુદ્દે બોલાચાલી શરૂ કરી હતી. જે બાદ આરોપી ગીતાબેને ઘરેથી કચરો-પોતું કરવાની લાકડી લાવી ફરિયાદી રચનાબેનને ત્રણ-ચાર ઘા માર્યા હતા. આ દરમ્યાન ગીતાબેનના દીકરા ડેનીશભાઈ પરમાર અને રૂષીભાઈ પરમાર પણ ઘરમાંથી બહાર આવી તેઓએ પણ રચનાબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદમાં ચારેય આરોપીઓએ ફરીયાદીને તેમના જ ઘરમાં બંધ કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









