છૂટાછેડા થયેલ દીકરી સાથે પોતાના દિકરાની સગાઈ કરવા મામલે વૃદ્ધને માર માર્યો.
મોરબીના રાજપર ગામે રહેતા વૃદ્ધ કે જેઓ રાજપર-પંચાસર જવાના માર્ગે આવેલ સ્મશાન પાસે હાજર હતા ત્યારે ત્રણ જણાએ હુમલો કરી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. પૂર્વ પત્ની સાથે દીકરાની સગાઈ કરવા બાબતે ઉશ્કેરાઈ આરોપીઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રાજપર ગામના સવજીભાઈ દેવજીભાઈ ધોળકીયા ઉવ.૫૫એ તાલુકા પોલીસ મથકમાં આરોપી હસમુખભાઈ ભરતભાઇ ધોળકીયા, બાવજીભાઈ રવજીભાઈ ધોળકીયા બન્નેરહે. શકત શનાળા મોરબી તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૦૧/૦૫ના રોજ ફરિયાદી રાજપર ગામથી પંચાસર જતા કાચા રસ્તે આવેલ સ્મશાને પક્ષીને ચણ (દાણા) નાખવા ગયેલ હોય ત્યારે આ કામના આરોપી હસમુખભાઈ સહિતના ત્રણેય આરોપીઓ એક કારમા ત્યાં આવી, ફરીયાદીને ગાળો આપી આરોપી હસમુખભાઈએ કહ્યું કે, ‘તમારા દિકરા ખુશાલની સગાઈ રિધ્ધી સાથે કેમ કરેલ છે રિધ્ધિના મારી સાથે લગ્ન થયેલ અને છૂટાછેડા થયેલ છે’ ‘મેં તમને સગાઈ કરવાની ના પાડેલ હતી’ તેમ કહી આરોપી હસમુખભાઇએ લોખંડના પાઇપ વડે હાથના પોચાના ભાગે ટચલી આંગળીથી ઉપરના ભાગે ઘા મારી ફેકચર જેવી ઇજા તથા પગમાં પેનીથી ઉપર ઘૂંટીથી નીચેના ભાગે મારી ઇજા કરી તથા આરોપી બાવજીભાઈએ અને અન્ય અજાણ્યા ઇસમે લાકડાના ધોકા વડે સાથળના ભાગે ઘા મારી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવાના એકબીજાની મદદગારી કરી હતી. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.





