ખોટા બેંક એકાઉન્ટ એડ કરી કંપનીના રૂપિયા બે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા.
વાંકાનેરના થાન રોડ સ્થિત જૈનકો રીફ્રેક્ટરી પ્રા.લી.માં કામ કરતા એકાઉન્ટન્ટ દ્વારા કંપની સાથે રૂ.૫૬.૫૯ લાખની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપીએ ખોટા બેંક એકાઉન્ટ કંપનીના બેનીફિશિયરીમાં ઉમેરાવી બે અકાગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ કંપનીના મેનેજરની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વાંકાનેર નર્સરી ચોકડી આગળ થાન રોડ ઉપર આવેલી જૈનકો રીફ્રેક્ટરી પ્રા.લી.માં નોકરી કરતા એકાઉન્ટન્ટ જૈનમ પરેશભાઈ શાહ દ્વારા કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાના મામલે કંપનીના મેનેજર હર્ષદભાઈ હેમતરામ નિમાવત ઉવ ૩૩ રહે. કાલિકાનગર શેરી નં.૧ મોરબી વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, આરોપી જૈનમ શાહ છેલ્લા ત્રણ વર્ષથી કંપનીના એકાઉન્ટ વિભાગનું સંચાલન કરતો હતો અને કંપનીના બેંક ખાતામાંથી લેવડદેવડ કરવાની સત્તા તેની પાસે હતી. આ સત્તાનો દુરુપયોગ કરી તેણે કંપનીના બેનીફિશિયરી લિસ્ટમાં ખોટા બેંક એકાઉન્ટ નંબરો ઉમેરાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ સેન્ટ્રલ બેંકના એકાઉન્ટ નંબર 3542142947માં રૂ.૪૨.૯૫ લાખ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટ નંબર 32105404985માં રૂ.૧૩.૬૪ લાખ એમ કુલ રૂ.૫૬.૫૯ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ બંને ખાતાઓ આરોપીએ ખોટી માહિતી આપી સિસ્ટમમાં એડ કરાવ્યા હતા.
ઉપરોક્ત આચરવામાં આવેલ પાપલીલા ત્યારે બહાર આવી જ્યારે આરોપી અચાનક કંપનીમાં હાજર ન રહ્યો અને તેનો ફોન બંધ આવતો હતો, ત્યારબાદ કંપની દ્વારા સી.સી.ટી.વી. અને બેંક એન્ટ્રીઓ ચકાસતા ગેરરીતિ સામે આવી હતી. હાલ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે પોલીસે કંપનીના એકાઉન્ટન્ટ અને અન્ય બે બેંક ખાતા ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી તેમજ તેની મદદ કરનાર અન્ય શખ્સોની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.





