અવાર નવાર મંદિર પાસે દારૂ પી નહિ આવવાનું કહેતા યુવકને બેલ્ટ અને ટાઇલ્સથી માર માર્યો.
મોરબીના જેલ રોડ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે દારૂ પીધેલી હાલતમાં આવેલા બે શખ્સોને અવાર નવાર દારૂ પી નહિ આવવાનું કહેતા યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જ નશામાં ધૂત બન્ને હુમલાખોરોએ ટાઇલ્સના ટુકડા અને પટ્ટાથી હુમલો કરી યુવકને ઈજા પહોંચાડી હતી. બનાવમાં યુવકના માથામાં ત્રણ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ફરિયાદી નરેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ધનજીભાઈ મકવાણા રહે. વણકરવાસ જેલ રોડ મોરબી વાળાએ આરોપી પભી અને ભરત રહે. વાલ્મિકી વાસ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ની રાત્રે તેઓ પોતાના મિત્ર રવિ સોલંકી સાથે ઘર પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે ઉભા હતા. દરમિયાન ઉપરોક્ત બન્ને આરોપીઓ પભી અને ભરત નામના બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં મંદિર પાસે આવ્યા હતા. ત્યારે ફરિયાદી અને તેના મિત્રએ બંનેને મંદિર6 પાસે દારૂ પીધેલી હાલતમાં ન આવવા તથા ત્યાંથી જતા રહેવાનું કહેતા બંને આરોપીએ ઉશ્કેરાઈ અને બોલાચાલી બાદ ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આરોપી પભીએ ટાઇલ્સના ટુકડાથી હુમલો કરી યુવકના છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી. જ્યારે આરોપી ભરતે ફરિયાદીને પકડી રાખતા પભીએ પટ્ટાથી માથા અને શરીરના ભાગે હુમલો કર્યો હતો. જેથી પટ્ટાનું બકલ વાગતા યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






