મયુર હોસ્પિટલ ખાતે ૬ અદ્યતન ડાયાલિસિસ મશીનો સાથે સેન્ટરનું ઉદ્ઘાટન: કિડની દર્દીઓને સ્થાનિક સ્તરે કિફાયતી સારવાર મળશે.
સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની મયુર હોસ્પિટલ ખાતે ૬ અદ્યતન ડાયાલિસિસ મશીનો સાથે વિશિષ્ટ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલથી મોરબી અને આસપાસના કિડની દર્દીઓને સ્થાનિક સ્તરે કિફાયતી અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બનશે તેમજ મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે.
ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશીભાઈ અઘારા તેમજ વિશેષ અતિથિ તરીકે વિશાલ આદિત્ય જાડેજા (વિશાલ બાપા) ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ છેલ્લા ૨૪ વર્ષથી કિડની સારવાર ક્ષેત્રે સેવારત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી હાથ ધરવામાં આવી છે. મોરબી જેવા વિસ્તારોમાં દર્દીઓને અગાઉ સારવાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે આર્થિક અને માનસિક બોજ વધતો હતો. નવા શરૂ કરાયેલા સેન્ટરથી આ મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસંગે સિમ્પોલો ગ્રુપના સીએમડી જિતેન્દ્ર અઘારાએ જણાવ્યું હતું કે ઉદ્યોગનો વિકાસ તેની આસપાસના સમુદાયોના વિકાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારજનોને સ્થાનિક સ્તરે જીવન બચાવતી સારવાર સરળતાથી મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા વધુમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી નિર્માણ પામતી શીતલ મંજુ પટેલ હોસ્પિટલ માટે પણ રૂ. 5 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એકમાત્ર ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ બનશે. આ ઉપરાંત જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ અને સમુદાય કલ્યાણ કેન્દ્રિત સીએસઆર પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને સમાજમાં લાંબા ગાળાનો સકારાત્મક પ્રભાવ ઊભો કરે તેવી આરોગ્ય પહેલોને સતત સમર્થન આપવામાં આવશે.






