મોરબી અને આસપાસના વિસ્તારોના રોજગાર ઇચ્છુક યુવાનો માટે આવતીકાલે 6 જૂનના રોજ મેગા જોબફેર અને એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા આયોજિત આ રોજગાર મેળામાં મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓ ભાગ લઈ યુવાઓને સીધી રોજગારીની તક પૂરી પાડશે.
કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાનારા મેગા જોબફેર અને એપ્રેન્ટિસશીપ મેળાનો મુખ્ય હેતુ રોજગાર વાંચ્છુક ઉમેદવારોને નોકરીની તકો ઉપલબ્ધ કરાવવાનો તેમજ ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી અને ઉચ્ચ તથા તકનીકી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષસ્થાને રહેશે. જ્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા સહિત વિવિધ જિલ્લાઓના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, જામનગરના સાંસદ પુનમબેન માડમ તથા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. મેગા જોબફેર અને એપ્રેન્ટિસશીપ મેળો શનિવાર, 6 જૂનના રોજ સવારે 10 વાગ્યે પંચમુખી હનુમાનજી મંદિર હોલ, વેજીટેબલ રોડ, મોરબી ખાતે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રોજગાર ક્ષેત્રે નવી તકો ઉભી કરવાના ઉદ્દેશ સાથે યોજાનારો આ મેગા જોબફેર મોરબી સહિત સમગ્ર વિસ્તારના યુવાનો માટે કારકિર્દી ઘડવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે.






