મોરબી તાલુકાના થોરાળા-પંચાસર રોડ પર ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇકો કાર ચાલકનું મોત નીપજ્યું છે. બનાવ અંગે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૧૪ જૂનના રોજ રાત્રે થોરાળા-પંચાસર રોડ પર કચરાભાઈ બાબુભાઈ ફુલતરિયાના ખેતર નજીક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૦૮૪૨ના ચાલક જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ સનાવડા ઉવ.૪૪ રહે.નાની વાવડી શીવ વીલા સોસાયટી મકાન નંબર ઈ-૧૮ વાળા પોતાની ઇકો કાર ચલાવીને થોરાળાથી પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટર નંબર જીજે-૧૨-એફડી-૪૩૩૬ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી કાર સાથે ટક્કર મારી હતી.
અકસ્માતમાં જીતેન્દ્રભાઈને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા વિઠ્ઠલભાઈ શિવાભાઈ સનાવડા ઉવ.૭૫ની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






