Monday, August 31, 2026
HomeGujaratરાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમથી તિથવાના બાળકને મળ્યું નવજીવન

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમથી તિથવાના બાળકને મળ્યું નવજીવન

જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા બાળકને વાંકાનેરમાં નિઃશુલ્ક સારવારનો લાભ, પરિવારને મળી મોટી રાહત.

- Advertisement -
- Advertisement -

મોરબી: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીના બાળકોનું સ્ક્રિનિંગ, નિદાન અને જરૂરી સારવાર કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના આરોગ્યમાં સુધારો લાવી તેમના જીવનની ગુણવત્તા વધારવાનો તેમજ સમાજના દરેક બાળકને વ્યાપક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત RBSKની ટીમ દ્વારા શહેરથી લઈને ગામડાના અંતિમ બાળક સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ અંતર્ગત વાંકાનેર તાલુકાના પંચાસીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તિથવા ગામના લાભાર્થી મોહમ્મદ અર્શયાન ફિરોજભાઈ બાદીની જન્મજાત બધિરતાની તકલીફનું સમયસર નિદાન કરી નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તા. ૨૯/૦૫/૨૦૨૪ ના રોજ આંગણવાડીની મુલાકાત દરમિયાન RBSKની મેડિકલ ટીમ દ્વારા બાળકની પ્રાથમિક આરોગ્ય તપાસ તપાસ દરમિયાન બાળકમાં જન્મજાત બધિરતા (Congenital Deafness) હોવાની શંકા જણાતા RBSK મેડિકલ ઓફિસર ડો. રવિરાજ મકવાણા અને ડો. મહેજબીન ગઢવાળા દ્વારા વધુ તપાસ અને સારવાર માટે રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.

બાળકના વાલીઓ દ્વારા શરૂઆતમાં બાળકને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં પણ બાળકને જન્મજાત બધિરતાનું નિદાન થયું હતું. ત્યારબાદ વાલીઓએ RBSK મેડિકલ ટીમનો સંપર્ક કરતા રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે બાળકની જરૂરી આરોગ્ય તપાસ અને નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. પી.ડી.યુ. હોસ્પિટલના તબીબો દ્વારા વધુ સારવાર અને સર્જીકલ અભિપ્રાય માટે બાળકને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. ત્યાં તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન અને ઓપરેશન અંગે સમજ આપવામાં આવી હતી.

આગળની સારવારના ભાગરૂપે તા. ૧૮/૦૮/૨૦૨૬ના રોજ બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળક સંપૂર્ણપણે તંદુરસ્ત અને સ્વસ્થ છે. આગામી તબક્કામાં બાળકને જરૂરી સ્પીચ થેરાપીની સારવાર આપવામાં આવશે. આ સમગ્ર સફળ સારવારથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં જન્મજાત ખામીઓનું સમયસર સ્ક્રિનિંગ, યોગ્ય નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરિયાત મુજબ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંસ્થાઓમાં રીફરલ જેવી સેવાઓ દ્વારા બાળકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!