‘ભારતીય ઊર્જા બાસ્કેટ : સંભાવનાઓ અને પડકારો’ વિષય પર જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ, પ્રાચી રંજન અને ધૈર્યા જાની રાજ્યકક્ષાએ પસંદ.
મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના નેશનલ સાયન્સ મ્યુઝિયમ દ્વારા મોરબી જીલ્લામાં નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૨૬ની જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભારતીય ઊર્જા બાસ્કેટ : સંભાવનાઓ અને પડકારો’ વિષય પર યોજાયેલી સ્પર્ધામાં મોરબી જીલ્લાના ૧૧ શાળાઓના ધોરણ ૮થી ૧૦ના કુલ ૬૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે શ્રમ અને રોજગાર મંત્રી કાંતીભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, EI ધર્મિષ્ઠાબેન, EI હિતેશભાઈ સરડવા, પ્રો. રેખાબેન શાહ, આચાર્યા દીપાલીબેન આડેસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા મુખ્ય સંયોજક દિપેનભાઈ ભટ્ટ તથા IPO અધિકારી પાર્થભાઈ સોલંકી સહિતના આયોજકોની ઉપસ્થિતિમાં સ્પર્ધા યોજાઈ હતી.
જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી નાલંદા વિદ્યાલય, વિરપરની પ્રાચી રંજન અને દ્વિતીય ક્રમે શ્રી ડી.જે.પી. કન્યા વિદ્યાલય, મોરબીની ધૈર્યા જાની વિજેતા બન્યા હતા. બંને વિજેતાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે, જેનું આયોજન સાયન્સ સિટી, અમદાવાદ ખાતે થશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જીલ્લાના તમામ ભાગ લેનાર શાળાના આચાર્યશ્રીઓ, સંચાલકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






