મણિ મંદિર ખાતે આશીર્વાદનો દિવડો કાર્યક્રમ હેઠળ ૬,૫૦૦ દીવડાઓનું દીપ પ્રાગટ્ય અને મહાઆરતી: આગામી એક મહિના સુધી જીલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે.
મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જીલ્લામાં મોરબી મહાનગરપાલિકા અને જીલ્લા પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે ઐતિહાસિક મણિમંદિર ખાતે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ગત આશરે ૬,૫૦૦ દીવડાઓ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી.
મોરબી શહેરના મણિમંદિર સહિત વિવિધ મંદિરો તેમજ વોર્ડ અને બૂથ દીઠ દીપ પ્રાગટ્ય અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર, જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે઼, મહાનગરપાલિકા કમિશનર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મંત્રીની અધ્યક્ષતામાં ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી એક મહિના સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન યોજી તેમાં જનભાગીદારી વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખી તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, આંગણવાડીના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા, પશુ સેવા અને વ્યાપક સ્વચ્છતા અભિયાન સહિતની પ્રવૃત્તિઓ યોજાશે. આ કાર્યક્રમોમાં મહાનગરપાલિકા, પંચાયતો, સરકારી વિભાગો સાથે લોકોની જનભાગીદારી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.






