સશસ્ત્ર હુમલામાં વિરમભાઈ સરૈયાની છરીના ચાર ઘા ઝીંકી હત્યા, અથડામણમાં સગીરને પણ ગંભીર ઈજા
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. સશસ્ત્ર હુમલામાં વિરમભાઈ સામતભાઈ સરૈયા નામના યુવાનને છરીના ચાર ઘા ઝીંકાતા તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ હિંસક અથડામણમાં એક સગીરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, અગાઉ થયેલી માથાકૂટના મુદ્દે આશરે દસ જેટલા ઇસમો પાંચ અલગ-અલગ વાહનોમાં વસુંધરા ગામે પહોંચ્યા હતા. આ ઇસમોએ દૂધ મંડળી ચલાવતા કૌટુંબિક ભાઈઓ પર છરી-ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.હુમલાખોરોએ પોતાના છોકરાને કેમ માર્યો તેમ કહી દૂધ મંડળીમાં ઘૂસી કોમ્પ્યુટર સહિતની મશીનરીમાં તોડફોડ કરી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ થયેલી હિંસક અથડામણમાં વિરમભાઈ સરૈયાને છરીના ચાર ઘા વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક વસુંધરા ગામે દોડી ગયો હતો.વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં નકુલ હુંબલ, વિશાલ ચાવડા, પરેશ ડાંગર, લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ડાંગર, નિર્મલ આહિર સહિત એક અજાણ્યા ઇસમ તથા તપાસમાં ખુલનારા અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ અને અથડામણ પાછળના કારણો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.






