પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને સંતાડ્યાની શંકામાં કુહાડી, પાઇપ, સળિયા અને લાકડી વડે હુમલો, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી.
વાંકાનેરમાં ભાગી જઈ લગ્ન કરનાર યુવક-યુવતીને સંતાડ્યા હોવાની શંકામાં એક યુવકનું મામલતદાર કચેરીમાંથી અપહરણ કરી દિઘલીયા ગામની સીમમાં લઈ જઈ ઢોરમાર મારવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભાગીને લગ્ન કરનાર યુવકના કુટુંબી ભાઈને યુવતીના પરિવારજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે બે મહિલા સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના કાશીપર ગામના રહેવાસી રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા ઉવ.૩૨એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી (૧)કેશાભાઈ મનજીભાઇ લુંભાણી, (૨)વિપુલભાઈ કરશનભાઇ લુંભાણી, (૩)ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, (૪)વિપુલની પત્નિ, (૫)હંસાબેન કેશાભાઈ લુંભાણી, (૬)વાલજીભાઇ માવજીભાઈ લુંભાણી તથા (૭)કરશનભાઈ લુંભાણી બધા રહે કાશીપર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રૂપાભાઈના કાકાના દીકરા ભાવેશે કાજલબેન કેશાભાઈ લુંભાણી સાથે ભાગી જઈ લગ્ન કર્યા હતા. આ મામલે કાજલબેનના પરિવારજનોને શંકા હતી કે ભાવેશ અને કાજલને ફરિયાદી રૂપાભાઈએ ક્યાંક સંતાડી રાખ્યા છે.
જે દરમિયાન ભાગી ગયેલ ભાવેશની ઉંમર અંગે ચાલતા કેસમાં ફરિયાદી રૂપાભાઈ પોતાના કુટુંબી ભાઈઓ સાથે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતા. ત્યારે આરોપી કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી અને ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી ત્યાં આવી રૂપાભાઈને ધમકી આપી બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધલીયા ગામની સીમમાં આવેલી વાડીમાં લઈ ગયા હતા.
ત્યાં કેશાભાઈ મનજીભાઈ લુંભાણીએ રૂપાભાઈના માથામાં ઊંધી કુહાડી મારી હતી. જ્યારે ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણીએ લોખંડના સળિયા વડે, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણીએ લોખંડના પાઇપ વડે, હંસાબેન કેશાભાઈ લુંભાણીએ લાકડી વડે તેમજ વાલજીભાઈ માવજીભાઈ લુંભાણીએ ઢીકા-પાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ આરોપીઓ ઇજાગ્રસ્ત રૂપાભાઈને કાશીપર ગામે લઈ ગયા હતા જ્યાં આરોપી કરસનભાઈ લુંભાણીએ પોલીસ ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રૂપાભાઈને પહેલા વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






