અગાઉ ગુજરાતમાં લાયસન્સ વગર ગેરકાયદેસર ચાલતી નોનવેજની દુકાનો મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી તેમજ આગામી દિવસોમાં દુકાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. છતાં સરકારે કોઈ નક્કર પગલા ભર્યા નથી. જેને લઈ આજે હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને રાજ્યમાં આવેલ ગેરકાનૂની ચાલતા કતલખાના, ઈંડા-મટન-ચિકનની લારીઓ તેમજ દુકાનો બંધ કરાવવા માંગ કરી હતી.
હિન્દુ યુવા વાહિની દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ચાલતા ગેરકાનુની કતલખાના તેમજ જાહેર રસ્તા ઉપર કોઈપણ જીવની હત્યા કરવા ઉપર પ્રતિબંધ છે અને હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનું આદેશ છે. છતાં પણ ઘણા સ્થળો ઉપર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેના અનુસંધાને ગેરકાયદેસર ખુલ્લેઆમ જીવોની હત્યા થઈ રહી છે. જેનાથી જીવદયા પ્રેમી લાગણીઓ દુભાઈ રહી છે. તેમ છતાં રસ્તા ઉપર ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહી છે. નામદાર હાઇકોર્ટના હુકમ બાદ પણ પરવાના વગર ગેરકાયદેસર ચાલતા આવા કતલખાના કોની મહેરબાની ચાલે છે. તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જાહેર રોડ રસ્તા ઉપર તેમજ જાહેર ધાર્મિક સ્થળોની આજુબાજુમાં મંજૂરી વગર તમામ ગેરકાયદેસર નોનવેજની લારીઓ તથા દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેમજ નામદાર કોર્ટના આદેશનું કડક પાલન થાય તેવી હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.