લગ્ન કરાવવાના બહાને રૂ.૧ લાખ પડાવ્યા બાદ નવવધૂ કોઈને કહ્યા વગર ઘર છોડીને જતી રહી, અમદાવાદની બે મહિલાઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ.
મોરબીમાં વાવડી રોડ સીંધી સોસાયટીમાં રહેતા આધેડ સાથે રૂ.૧ લાખ લઈને લગ્ન કરાવ્યા બાદ નવવધૂ માત્ર આઠ-નવ દિવસમાં કોઈને જાણ કર્યા વગર ઘરેથી જતી રહેતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મામલે લગ્ન કરાવી આપનાર અમદાવાદની મહિલા અને નવવધૂ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના વાવડી રોડ ઉપર સીંધી સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુલચંદભાઈ અડવાણી ઉવ.૪૭એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રિતીબેન કેવલરામ વાઘવાણી રહે. એ-૨૦૨ રોયલ રીજોઈસ-૨ શીપ બંગલો બીલાસીયા ચોકડી પાસે અમદાવાદ તથા નિશા રામચંદ્ર હેમલાની રહે. ૨-સા-૧૨ ફસ્ટ પુલીયા ચોપાસની હાઉસીંગ બોર્ડ જોધપુર (રાજસ્થાન) હાલ -અમદાવાદ વાળી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે ત્રણ મહિના અગાઉ અમદાવાદમાં રહેતી આરોપી પ્રિતીબેન વાઘવાણી સાથે સંપર્ક થયો હતો. આરોપી પ્રિતીબેન દ્વારા અપરણીત લોકોના લગ્ન કરાવવામાં આવતા હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ફરિયાદી અશોકભાઈ અને તેમના બહેન અમદાવાદ ગયા હતા, જ્યાં પ્રિતીબેને તેમને નિશાબેન હેમલાની નામની યુવતી સાથે પરિચય કરાવ્યો હતો. પ્રિતીબેને લગ્ન કરાવવા માટે રૂ.૧ લાખની માંગણી કરી હતી અને યુવતીની સંપૂર્ણ જવાબદારી પોતાની હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પ્રિતીબેન અને નિશાબેન મોરબી આવી પરિવારની મુલાકાત લીધા બાદ લગ્ન માટે સંમતિ આપી હતી. અને ગત ૨૧ મે ૨૦૨૬ના રોજ ગાંધીધામ નજીક અંજાર તાલુકાના મેઘપર બોરીચા ગામે આવેલા અંબે માતાના મંદિરે બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. જે બાદ અશોકભાઈએ આરોપી પ્રિતીબેનને રૂ.૧ લાખ રોકડા ચૂકવ્યા હતા. લગ્ન બાદ નિશાબેન મોરબીમાં પતિના ઘરે રહેવા આવી હતી, પરંતુ માત્ર આઠ-નવ દિવસ બાદ, તા.૩૦ મેના રોજ વહેલી સવારે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારથી તેનો અને પ્રિતીબેનનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. બાદમાં નિશાબેને પરિવારના એક સભ્યને ફોન કરીને પોતે પરત નહીં આવે તેવી જાણ કરી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસની તજવીજ શરૂ કરી છે.






