મોરબી તાલુકાના રાજપર(કું) ગામના મહિલા સરપંચે બે વ્યક્તિઓ સામે જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા જાહેરમાં શબ્દો બોલતા અને ગર્ભિત ધમકી આપનાર બે શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ-જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રાજપર (કું) ગામના સરપંચ નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી(મૂળ વસાવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા રહે.રાજપર(આમરણ) અને સંદીપભાઈ ખીમજીભાઈ મેંદપરા રહે.મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલા સરપંચ ગત તા.૨૮જૂનના રોજ ગામની દુકાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રામ મંદિર ચોક ખાતે આરોપી મનસુખભાઈ દેત્રોજાએ તેમને જાતિ વિશે શબ્દો ઉચ્ચારી જાહેરમાં અપમાનિત કર્યા હતા તેમજ “સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી દઈશ” તેવી ગર્ભિત ધમકી આપી હતી. અગાઉ આશરે ત્રણ મહિના પહેલા ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન પંચાયત કચેરીના પગથિયાં ઉપર આરોપી મનસુખભાઈ દેત્રોજા અને આરોપી સંદીપભાઈ મેંદપરાએ બેઠકમાં કોઈ નિર્ણય થવા નહીં દેવા અને ફરિયાદીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી દેવાની વાતો કરી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. બંને આરોપીઓ સામા પક્ષના હોવાથી ગ્રામ પંચાયતના કામકાજમાં અવારનવાર અવરોધ ઉભા કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






