મોરબી-રાજકોટ હાઈવે પર ઓરપેટ કારખાના સામે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ટાટા ટિયાગો કારના ચાલકે બેદરકારી અને ફૂલ સ્પીડે પોતાનું વાહન ચલાવી બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫૪ વર્ષીય કારખાનેદારને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમજ જમણો હાથ કપાઈ જતા સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મોરબી તાલુકાના બગથળા ગામના વતની હાલ મોરબી તુલસી કુંજ એપાર્ટમેન્ટ સત્કાર રેસિડેન્સીમાં રહેતા કિરીટભાઈ પ્રાણજીવનભાઈ વાંસદડીયા ઉવ.૫૪ ગઈકાલ તા.૧૮ એપ્રિલના રોજ પોતાના કારખાનેથી હોન્ડા સાઇન મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એમ-૫૦૪૮ લઈને ટંકારાથી મોરબી આવી રહ્યા હતા. તે દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે ઉપર ઓરપેટ કારખાના સામે પહોંચતા પાછળથી આવી રહેલી ટાટા ટિયાગો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૩૨૦૪ ના ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન ચલાવી આવી બાઈકને પાછળથી જોરદાર ઠોકર મારી હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કિરીટભાઈને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો. જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ અનિલભાઈ વાંસદડીયાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









