‘અમારે તમારી સાથે વ્યવહાર નથી એટલે દુકાને ખરીદી કરવા નહીં આવવું’ કહી ગાળો આપી લાકડી-પાઇપથી માર માર્યો.
વાંકાનેરના રાતીદેવળી ગામે કરિયાણું લેવા ગયેલા યુવકને દુકાને ન આવવાનું કહી કરિયાણા વેપારી અને તેના પરિવારના ચાર સભ્યો મળી પાંચ શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવક અને તેને બચાવવા આવેલા તેના કુટુંબી ભાઈને ઇજા પહોંચી હતી.
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વિપલભાઈ વોરા ઉવ.૨૪એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ મેઘજીભાઈ વોરા, દિલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા બધા રહે.રાતીદેવળી તા. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ગામમાં આવેલી રવજીભાઈ મેઘજીભાઈ વોરાની કરિયાણાની દુકાને ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન વેપારીએ તેમના પરિવાર સાથે વ્યવહાર ન હોવાથી દુકાને ફરી ક્યારેય ખરીદી કરવા નહીં આવવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન બોલાચાલી થતાં વેપારીએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો, બાદમાં આરોપી કાન્તીભાઈ વોરા, દીલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા પણ લાકડી અને પાઇપ સાથે આવી ફરિયાદી તથા વચ્ચે પડેલા તેમના સગા મુકેશભાઈ રમેશભાઈ વોરાને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ફરિયાદીને કાન પાસે ઇજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






