તૈયારીઓની સમીક્ષા માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.
મોરબી: દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના ગૌરવશાળી કાર્યકાળના અવસરે મોરબી જીલ્લામાં યોજાનારા ત્રિવિધ લોકકાર્યક્રમોના ભાગરૂપે તારીખ ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન)નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સનાળામાં આવેલી પટેલ સમાજવાડી ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન યોજાનારા આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરે સંમેલન સંદર્ભે વિવિધ સંબંધિત કચેરીઓ અને સરકારી વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વહીવટી તૈયારીઓ અને વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી, તેમજ કાર્યક્રમને સુચારુ રૂપે પાર પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમીક્ષા બેઠકનું સંચાલન મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત મોરબી જીલ્લામાં રમત-ગમત, સાહિત્ય,
કલા અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા સ્થાનિક નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વિશેષ રૂપે સહભાગી બનાવવામાં આવશે.






